Google Search

Monday, June 18, 2012

મોતીચારો – ડૉ. આઈ. કે. વિજળીવાળા


[1] ભગવાન સાથે વાતચીત
એક માણસે આકાશ સામે જોઈને કહ્યું, ‘હે ભગવાન મારી સાથે વાત કર’, એ જ સમયે એક બુલબુલે સુંદર મજાનું ગીત છેડ્યું, પણ પેલા માણસનું એ તરફ ધ્યાન જ ન ગયું !!
પછી પેલા માણસે આકાશ સામે જોઈને વિનંતી કરી, ‘હે ભગવાન, મારી સાથે બોલ તો ખરો !’ એ જ સમયે આકાશમાં છવાયેલાં વાદળોમાં વીજળી થઈ અને એક લાંબી ગડગડાટી ચાલી, પરંતુ પેલા ખોવાયેલા માણસને એનો ખ્યાલ પણ ન આવ્યો !!
એને ભગવાનની આ અવગણના પર આશ્ચર્ય થયું ! એ રાત્રે અંધારામાં એણે કોઈ નથી જોતું એની ખાતરી કરીને પછી કહ્યું, ‘હે ભગવાન, મારે તારાં દર્શન કરવાં છે ! તું મને દર્શન આપ!’ એ જ સમયે એક તારો ખૂબ જ તેજ સાથે ચમકી ઊઠ્યો, પરંતુ પેલા માણસની દ્રષ્ટિ એ ના પકડી શકી !!
હવે એને રડવું આવ્યું. એ બોલ્યો : ‘હે પ્રભુ, મને સમજાતું નથી કે તું મારી આટલી અવગણના કેમ કરે છે ? આજે તો તું મને ચમત્કાર બતાવ.’ એ જ સમયે તેની પત્નીને પ્રસુતિની પીડા ઊપડી, એને તુરંત દવાખાને લઈ જવી પડી. થોડી જ વારમાં તેણે એક સુંદર આંખોવાળા બાળકને જન્મ આપ્યો. પરંતુ પેલા માણસને કંઈ જ સમજાયું નહીં.
એ હવે ભગવાન પર ગુસ્સે થયો. એણે બૂમ પાડી. ‘હે ભગવાન, મને ખાતરી કરાવ કે તું છે જ. તું મને સ્પર્શીને એ ખાતરી કરાવ. તો જ હું માનીશ કે તું છે.’ આ વખતે ભગવાન ખુદ નીચે આવ્યા. એમણે અતિસુંદર સ્વરૂપ ધારણ કર્યું, અને પેલા માણસને હળવેથી સ્પર્શ્યા. પેલા માણસે હાથ પર બેઠેલા રંગીન પતંગિયાને ઉડાડી મૂક્યું અને નિસાસો નાખ્યો કે, ‘ભગવાન ક્યાંય છે જ નહીં !!’
આપણે અપેક્ષા રાખેલી હોય તેવા સ્વરૂપે જ આશીર્વાદ આવી પડે એવી આશામાં આપણે કેટકેટલા આશીર્વાદ અને ચમત્કારોની પ્રતીતિ ગુમાવી દેતાં હઈશું ?! (મૂળ શીર્ષક : A dialogue with God. )
[2] એક સાદી કસોટી
તમને હું થોડાક સવાલો પૂછવા માગું છું. તરત જ જવાબ આપવાની કોશિશ કરજો.
1. 1984ની સાલના દુનિયાના 3 સૌથી ધનવાન માણસોના નામ આપો.
2. 1977નું નોબલ પ્રાઈઝ મળ્યું હોય તેવી 3 વ્યક્તિઓનાં નામ આપો.
3. 1980ની ઑલિમ્પિક રમતોમાં સુવર્ણચંદ્રક જીતનાર ત્રણ એથ્લેટ્સનાં નામ આપો.
4. હિમાલયન કાર રેલીના 3 વિજેતાઓનાં નામ આપો.
5. ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ પારિતોષિક મેળવનાર પાંચ જણનાં નામ આપો.
કાં ? કેમ લાગ્યું ?
જુઓ, આ બધા કોઈ સામાન્ય માણસો નથી જ ! પોતપોતાના ક્ષેત્રમાં માહિર અને પ્રથમ ક્રમની વ્યક્તિઓ છે આ બધી. સર્વશ્રેષ્ઠ તેમજ ઉત્તમ ! છતાં આપણને એ લોકો આટલાં થોડાં વર્ષો બાદ યાદ પણ નથી રહેતાં. તાળીઓના ગડગડાટ તો શમી જ જતા હોય છે. ઈનામો, ઍવૉર્ડઝ કે પ્રમાણપત્રો પણ એમના મેળવનારની સાથે જ ક્યારે આપણી સ્મૃતિમાંથી અતીતમાં સરી જાય છે તેનો ખ્યાલ પણ નથી આવતો.
હવે આ કસોટીનો બીજો ભાગ જોઈએ. નીચેના પ્રશ્નો ઉકેલવાનો પ્રયત્ન કરીએ :
1. એવા ત્રણ શિક્ષકોના નામ આપો જેણે તમને નિશાળ કે કૉલેજકાળ દરમિયાન ખૂબ જ હૂંફ આપી હોય કે આગળ વધવાની પ્રેરણા આપી હોય.
2. એવા ત્રણ મિત્રોના નામ આપો જેમણે કપરા સંજોગોમાં તમને સાથ, સહારો તેમજ હૈયાધારણ આપી હોય.
3. તમારા સાચા રાહબર બન્યા હોય તેવા ત્રણ વડીલોનાં નામ આપો.
4. પ્રશંસા કે કદરના શબ્દોથી તમારું દિલ જીતી લીધું હોય તેવી ત્રણ વ્યક્તિઓનાં નામ આપો.
5. જેમની સાથે સમય પસાર કરવાનું તમે પસંદ કરતા હો તેવી ત્રણ વ્યક્તિઓનાં નામ આપો !
કાં ? હવે કેવું લાગ્યું ? અત્યંત સહેલું ને ?
કહેવાનું તાત્પર્ય એ જ કે આપણા જીવનમાં જેમની કાળજીથી, હૂંફથી નિખાર આવ્યો હોય તેમને આપણે અજાણપણે જ આપણા હૃદયમાં કાયમી સ્થાન આપી દીધું હોય છે. આપણા દિલ માટે તો સાચા એવોર્ડ વિનર્સ એ લોકો જ હોય છે. દુનિયા એમને જાણતી હોય કે નહીં પરંતુ આપણું હૃદય તો જીવનપર્યંત એમને યાદ રાખે છે !! (મૂળ શીર્ષક : A little perpective )
[3] એક નાનકડા બાળકની ઑફર….!
…જો હું મેઘધનુષને પકડી શકીશ તો જરૂર એ તમારા માટે લાવી આપીશ. પછી આપણે એના સુંદર રંગોની મજા માણીશું !
….જો હું પર્વત ઉપાડી શકીશ તો ચોક્કસ તમને એ પર્વત ભેટ આપીશ. પછી એના પરની સરસ શાંત જગ્યામાં તમે રહી શકો અને આનંદ કરી શકો.
… જો મને તમારી ચિંતાઓ એક ટોપલીમાં ભરી આપશો તો હું એ ટોપલીને ઉપાડીને દરિયામાં ફેંકી આવીશ. પછી તમે મારી જેમ જ હસી શકશો !
પણ….! તમે જાણો જ છો કે હું એટલો નાનકડો છું કે આમાંનું કંઈ પણ મારા માટે શક્ય જ નથી. નથી હું મેઘધનુષ લાવી શકવાનો કે નથી હું પર્વત ઉપાડી શકવાનો. પણ એક વસ્તુ મારા હાથની વાત છે. તમને ખૂબ ખૂબ વહાલની એક મોટી પપ્પી જરૂરથી આપી શકીશ… ગમશે ને…..!?
[4] To Whom It May Concern
માનનીય શ્રી,
સ્વર્ગ સમાચારમાં આવેલ જાહેરખબર પરથી જાણ્યું કે તમે તમારી જિંદગીના મૅનેજરની જગ્યા ભરવા માંગો છો. તો આ જગ્યા માટે હું નમ્ર રીતે અરજી કરવા માંગું છું. મારી અરજીની યોગ્યતાના પુરાવા તરીકે હું નીચેના થોડાક મુદ્દાઓ પરત્વે તમારું ધ્યાન દોરવા માંગું છું :
(અ) હું માણસજાતના સર્વપ્રથમ મૅનેજર તરીકે કામ કરી ચૂક્યો છું !
(બ) મેં જ માણસજાતને બનાવી છે. એને સૌથી સારી રીતે કાર્યરત શી રીતે રાખવી તે હું બરાબર જાણું છું કારણ કે તેના દરેકદરેક પુરજાનું મને સંપૂર્ણ જ્ઞાન છે. (આમ જુઓ તો મશીનના બનાવનારને જ તમે મિકૅનિકની નોકરી આપી રહ્યા હો તેવું લાગશે !)
મારી કાર્યપદ્ધતિ અંગે તમને માહિતગાર કરવા માટે અત્યાર સુધીમાં મેં ઘણા જ સંતો, અવતારો તેમજ પયગંબરોને મોકલ્યા જ છે. પણ મને લાગે છે કે તો પણ ક્યાંક કશીક કચાશ રહી ગઈ છે. એટલે આ વખતે મેં જ અરજી કરવાનો નિર્ણય કર્યો છે.
મને જો તમારી જિંદગીના મૅનેજર તરીકે રાખશો તો થોડાક જ વખતમાં હું બધું જ બરાબર કરી આપીશ. હા ! આ બધું હું મારી આગવી રીતે કરવાનો અધિકાર જરૂર માંગીશ. એના માટે મારે તમારી જિંદગીમાં થોડાક આવશ્યક અને નિર્ણાયક ફેરફારો જરૂરથી કરવા પડશે. એ હું મારી રીતે અને મારા સમયે કરીશ. કેટલાક ફેરફારો તમને પીડાદાયક લાગવાની શક્યતા પણ છે, પરંતુ એ બધું સહન કરવાની હું તમને શક્તિ પણ આપીશ એટલે કંઈ વધારે પડતી ચિંતા કરવાની પણ જરૂરત નહીં રહે.
આ સંપૂર્ણ પ્રક્રિયા દરમિયાન તમારે માત્ર શાંતિ જ જાળવવાની રહેશે. મારા કામમાં કોઈ પણ જાતની દખલ મને જરા પણ સ્વીકાર્ય નથી. મને મદદ કરવાનો તેમજ મારો વિરોધ કરવાનો પણ તમારે પ્રયત્ન ન કરવો. મારે તમારી મદદની જરૂર નથી, પણ તમારો સાથ, સહકાર અને સમર્પણ હું આવકારીશ. (અને એ અનિવાર્ય પણ છે !)
એ જ
લિ.
ભગવાન
નીચે મારો બાયોડેટા લખીને મોકલું છું, જે તમારી જાણ ખાતર…..!
નામ : ભગવાન
સરનામું : બધે જ. દરેક સ્થળ, કણે કણ. 000 000
ફોન : પ્રાર્થના
નિપુણતા : સર્વશક્તિમાન
કાર્ય અનુભવ : બ્રહ્માંડને બનાવ્યું. આકાશગંગા, એક એક તારા તેમજ તારાવિશ્વોને એની જગ્યાએ ગોઠવ્યાં. માણસ તેમજ દરેક સજીવ-નિર્જીવને બનાવ્યાં. હાલ સમગ્ર વિશ્વને મારી શક્તિ વડે ધારણ કરી રહ્યો છું. સમયની શરૂઆત થઈ તે પહેલાંથી, સમય રહેશે ત્યાં સુધી અને તે પછી પણ કાર્યક્ષેત્ર તેમજ કાર્યક્ષમતા ધરાવનાર. (સમયને પણ મેં જ બનાવ્યો છે, જે તમારી જાણ ખાતર !)
અભ્યાસ : સર્વજ્ઞ. બધું જ્ઞાન મારા થકી જ છે.
ચારિત્ર્ય : આ અંગેનાં પ્રમાણો માટે નીચેના રૅફરન્સીસ જોઈ જવા વિનંતી છે.
વેદ, ઉપનિષદો, જૈન શાસ્ત્ર, બૌદ્ધ ધર્મગ્રંથો તેમજ અન્ય ભારતીય ધર્મસંહિતાઓ. આ ઉપરાંત બાઈબલ, કુરાન તેમજ દુનિયાના દરેક ધાર્મિક ગ્રંથ.

થોડાક અગત્યના ગુણો :
(1) પ્રેમસ્વરૂપ
(2) પ્રકાશસ્વરૂપ
(3) શાંતિસ્વરૂપ
(4) સત્યસ્વરૂપ
(5) શુભસ્વરૂપ
(6) સમજણ આપનાર.
(7) સહાનુભૂતિ તેમજ કરુણાસ્વરૂપ
(8) દર્દનાશક
(9) દુ:ખનાશક
(10) ક્ષમા કરનાર
(11) અન્નદાતા
(12) દયાળુ, માયાળુ
(13) દરેક સદ્દગુણનો સ્વામી.
મળવા માટેની માહિતી (Contact Information) :
હું હંમેશા તમારી જિંદગીની જવાબદારી સ્વીકારી લેવા તત્પર હોઉં છું. તમે ગમે ત્યારે (24 x 7 x 365 ) મારો સંપર્ક કરી શકો છો. હું તમારાથી ફક્ત પ્રાર્થનાના બે શબ્દ જેટલો જ દૂર છું. મંદિરો મસ્જિદો વગેરે જગ્યાઓ કરતાં મને દિલમાં શોધવાની કોશિશ કરજો. હું હંમેશાં તમારી જોડે જ હોઉં છું.
અપેક્ષિત પગાર :
મારો પગાર મારા હજારો દૂતો, સંતો તેમજ પયગંબરોએ પોતાની જાતની આહુતિ આપીને ક્યારનો ચૂકવી દીધો છે. તમારી પાસેથી મારા બતાવેલા રસ્તા પરનું આચરણ તેમજ મારા પ્રત્યેનું સમર્પણ જ પગાર તરીકે માંગું છું. વધારે રૅફરન્સીસ જો માંગશો તો જરૂર પૂરા પાડીશ. આશા છે કે મારી અરજી પર પૂરતું ધ્યાન આપીને તમે મને તમારી જિંદગીના મૅનેજરની નોકરી જરૂરથી આપશો.
એ જ
લિ. ભગવાન.
(મૂળ શીર્ષક : Gods Cover Letter)
[5] જો…. …. .. !
જો ભગવાનના ઘરમાં રેફ્રિજરેટર હોત તો ચોક્કસ એની ઉપર એ આપણા ફોટાવાળી ફ્રેમ રાખત !
જો ભગવાન પાકીટ રાખતો હોત તો ખાતરીપૂર્વક કહું છું કે એમાં આપણો નાનકડો ફોટો એ જરૂર રાખત !
દરેક વસંતઋતુએ એ આપણને હજારો ફૂલોનો ગુલદસ્તો શું કામ મોકલે છે ?
રોજ સવારે એ સૂરજને મોકલીને રાતનો અંધકાર શું કામ દૂર કરે છે ?
અમૃતધારા જેવી વર્ષાને દર વરસે એ ધરતી પર શું કામ મોકલે છે ?
જ્યારે જ્યારે આપણે સાચા દિલથી પ્રાર્થના કરીએ છીએ ત્યારે એ સાંભળે જ છે. શું કામ ?
અને એણે બનાવેલા આટલા મોટા વિશ્વમાં એ ગમે ત્યાં રહી શક્યો હોત પણ રહેવાની જગ્યા તરીકે એણે આપણું હૃદય જ શું કામ પસંદ કર્યું ? શું કામ ?!
અરે, એટલા માટે કે એ આપણો દીવાનો છે. આપણી પાછળ પાગલ છે. આપણી સાથે તાલ મિલાવવા માટે એ અધીરો છે.
અને આમેય ભગવાને આપણને બનાવ્યા ત્યારે એવું વચન તો નહોતું જ આપ્યું કે આપણને દુ:ખ વગરના દિવસો જ આપશે ! એવું તો નહોતું કહ્યું કે હાસ્ય આપશે પણ ઉદાસી નહીં આપે કે રાત વગરના જ દિવસો આપશે. પણ એવું વચન જરૂર આપ્યું હતું કે જો દુ:ખ આપશે તો એ સહન કરવાની શક્તિ તેમજ હિંમત આપશે, જો ઉદાસીનતા આપશે તો ખુશી પણ આપશે જ, નિરાશાનાં આંસુ આપશે તો આશાનું સ્મિત પણ જોડે આપશે. અને અંધકારભરી રાત્રિ આપશે તો તારા, ચંદ્ર અને નહીં તો દીવડાનો પ્રકાશ જરૂરથી આપશે જ આપશે !
(મૂળ શીર્ષક : If God had a refrigerator)

No comments:

Post a Comment