Google Search

Monday, June 18, 2012

શ્રદ્ધાત્રયવિભાગયોગ – શ્રીમદ્ ભગવદ ગીતા


અર્જુન ઉવાચ : 
યે શાસ્ત્રવિધિમુત્સૃજ્ય યજન્તે શ્રદ્ધયાન્વિતા:,
તેષાં નિષ્ઠા તુ કા કૃષ્ણ સત્વમાહો રજસ્તમ:.
હે કૃષ્ણ ! જેઓ શાસ્ત્રવિધિ છોડીને (કેવળ) શ્રદ્ધાયુક્ત થઈને પૂજન વગેરે કરે છે, તેઓની ગતિ કેવી થાય છે ? સત્વગુણી, રજોગુણી કે તમોગુણી ?
શ્રી ભગવાનુવાચ : 
ત્રિવિધા ભવતિ શ્રદ્ધા દેહિનાં સા સ્વભાવજા,
સાત્વિકી રાજસી ચૈવ તામસી ચેતિ તાં શ્રૃણુ.
મનુષ્યોને સ્વભાવથી જ સાત્વિકી, રાજસી અને તામસી એમ ત્રણ પ્રકારની શ્રદ્ધા હોય છે. તે મારી પાસેથી તું સાંભળ.
સત્વાનુરૂપા સર્વસ્ય શ્રદ્ધા ભવતિ ભારત,
શ્રદ્ધામયોડ્યં પુરુષો યો યચ્છદ્ધ સ એવ સ:.
હે ભારત ! બધા મનુષ્યોની શ્રદ્ધા તેમના અંત:કરણની શુદ્ધિ અનુસાર હોય છે. દરેક મનુષ્ય શ્રદ્ધામય છે અને જેવી એની શ્રદ્ધા તેવો તે હોય છે.
યજન્તે સાત્વિકા દેવાન્યક્ષરક્ષાંસિ રાજસા:
પ્રેતાન્ભૂતગણાંશ્ચાન્યે યજન્તે તામસા જના:.
સાત્વિક મનુષ્યો દેવોને પૂજે છે; રાજસી મનુષ્યો યક્ષો અને રાક્ષસોને પૂજે તથા બીજા તામસી લોકો ભૂત-પ્રેત વિગેરેને પૂજે છે.
અશાસ્ત્રવિહિતં ઘોરં તપ્યન્તે યે તપો જના:,
દંભાહંકારસંયુક્તા: કામરાગબલાન્વિતા:.
કર્ષયન્ત: શરીરસ્થં ભૂતગ્રામમચેતસ:,
માં ચૈવાન્ત: શરીરસ્થંતાન્વિદ્વયાસુરનિશ્ચાયાન્.
દંભ અને અહંકારવાળા જે મનુષ્યો કામનાઓ અને આસક્તિના બળથી પ્રેરાઈને કેવળ મૂઢતાપૂર્વક શાસ્ત્રે ન કહ્યું હોય તેવું ઘોર તપ કરે છે અને શરીરમાં રહેલાં પાંચ ભૂતોને તથા અંતર્યામી એવા મને પણ કષ્ટ આપે છે, તેમને તું આસુરી સ્વભાવવાળા જાણ.
આહારસ્ત્વપિ સર્વસ્ય ત્રિવિધો ભવતિ પ્રિય:,
યજ્ઞસ્તપસ્તથા દાનં તેષાં ભેદમિમં શ્રૃણુ.
વળી આહાર પણ સૌને ત્રણ પ્રકારનો પ્રિય હોય છે; તેમ જ યજ્ઞ, તપ અને દાન પણ (ત્રણ પ્રકારનાં) હોય છે; તેમનો આ ભેદ તું સાંભળ.

આયુ: સત્વબલારોગ્ય સુખપ્રીતિવિવર્ધના:,
રસ્યા: સ્નિગ્ધા: સ્નિરાહૃદ્યાઆહારા: સાત્વિકપ્રિયા:
આયુષ્ય, સાત્વિકતા, બળ, આરોગ્ય, સુખ અને રૂચિ વધારનાર, રસયુક્ત, સ્નિગ્ધ, પૌષ્ટિક અને મનને ગમે એવા આહાર સાત્વિક મનુષ્યોને પ્રિય હોય છે.
કટ્વમ્લવણાત્યુષ્ણતીક્ષ્ણરૂક્ષવિદાહિન:
આહારા રાજસસ્યેષ્ટા દુ:ખશોકામયપ્રદા:
કડવા, ખાટા, અતિ ઉષ્ણ, તીખા, લૂખા, દાહ કરનારા આહારો રાજસી મનુષ્યોને પ્રિય હોય છે અને તે દુ:ખ, શોક તથા રોગ ઉત્પન્ન કરનારા હોય છે.
યાતયામં ગતરસં પૂતિ પર્યુષિતં ચ યત્,
ઉચ્છિષ્ટમપિ ચામેધ્યં ભોજનં તામસપ્રિયમ્.
એક પ્રહર વખત સુધી પડી રહેલું, ઊતરી ગયેલું દુર્ગંધયુક્ત, વાસી, ઉચ્છિષ્ટ અને અપવિત્ર ભોજન તામસી મનુષ્યોને પ્રિય હોય છે.
અફલાકાંક્ષિભિર્યજ્ઞો વિધિદષ્ટો ય ઈજ્યતે,
યષ્ટવ્યમેવેતિ મન: સમાધાય સ સાત્વિક:.
જે લોકો ફળની આકાંક્ષા રાખતા નથી, પણ મારે યજ્ઞ કરવો જોઈએ એમ મનથી પોતાનું કર્તવ્ય સમજીને યજ્ઞ કરે છે તે સાત્વિક છે.

અભિસંધાય તુ ફલં દમ્ભાર્થમપિ ચૈવ યત્,
ઈજ્યતે ભરતશ્રેષ્ઠ તં યજ્ઞં વિદ્ધિ રાજસમ્
પણ હે ભરતશ્રેષ્ઠ ! ફળને લક્ષમાં રાખીને તેમ જ દંભ માટે જે યજ્ઞ કરાય છે, તે યજ્ઞને તું રાજસ જાણ.
વિધિહીનમસૃષ્ટાન્નં મંત્રહીનમદક્ષિણમ્,
શ્રદ્ધાવિરહિતં યજ્ઞં તામસં પરિચક્ષતે.
અને શાસ્ત્રવિધિરહિત, અન્નદાનરહિત, મંત્રોરહિત, દક્ષિણારહિત અને શ્રદ્ધારહિત કરેલા યજ્ઞને તામસ કહે છે.
દેવદ્વિજગુરુપ્રાજ્ઞપૂજનં શૌચમાર્જવમ્,
બ્રહ્મચર્યમહિસાં ચ શારીરં તપ ઉચ્યતે.
દેવ, બ્રાહ્મણ, ગુરુ અને વિદ્વાનોનું પૂજન, પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય અને અહિંસા એ શારીરિક તપ કહેવાય છે.
અનુદ્વેગકરં વાક્યં સત્યં પ્રિયહિતં ચ યત્,
સ્વાધ્યાયાભ્યસનં ચૈવ વાગ્મયં તપ ઉચ્યતે.
કોઈને ઉદ્વેગ ન કરનારી, સત્ય, પ્રિય અને હિતકારી વાણી બોલવી તથા સ્વાધ્યાયનો અભ્યાસ, એ વાણીનું તપ કહેવાય છે.
મન:પ્રસાદ: સૌમ્યત્વં મૌનમાત્મવિનિગ્રહ:,
ભાવસંશુદ્ધિરિત્યેતત્તપો માનસમુચ્યતે.
મનની પ્રસન્નતા, સૌમ્યભાવ, મૌન, આત્મસંયમ અને ભાવનાની (અંત:કરણની) શુદ્ધિ એ મનનું તપ કહેવાય છે.
શ્રદ્ધા પરયા તપ્તં તપસ્તત્રિવિધં નરૈ:
અફલાકાંક્ષિભિર્યુક્તૈ: સાત્વિકં પરિચક્ષતે.
ફળની ઈચ્છા વિનાના નિષ્કામ મનુષ્યોએ પરમ શ્રદ્ધાથી આચરેલા એ ત્રણ પ્રકારના તપને સાત્વિક કહેલ છે.
સત્કારમાનપૂજાર્થં તપો દમ્ભેન ચૈવ યત્,
ક્રિયતે તદિહ પ્રોક્તં રાજસં ચલમધ્રુવમ્.
કોઈનાં સત્કાર, માન અથવા પૂજા માટે દંભપૂર્વક જે કરાય છે, તે અસ્થિર તથા નાશવંત તપને રાજસ કહેલું છે.
મૂઢગ્રાહેણાત્મનો યત્પીડયા ક્રિયતે તપ:,
પરસ્યોત્સાદનાર્થં વા તત્તામસમુદાહ્યતમ્.
જે મૂઢતાપૂર્વક, હઠથી, મન, વાણી અને શરીરને પીડીને બીજાનું અનિષ્ટ કરવાના હેતુથી જે કરાય છે તેને તામસ તપ કહેલું છે.
દાતવ્યમિતિ યદ્દાનં દીયતેડનુંપકારિણે,
દેશે કાલે ચ પાત્રે ચ તદ્દાનં સાત્વિકં સ્મૃતમ્.
દાન આપવું એ કર્તવ્ય છે તે એવા ભાવથી કે જે બદલાની આશા વિના યોગ્ય સ્થળે, યોગ્ય સમયે અને યોગ્ય વ્યક્તિને અપાય છે, તેને સાત્વિક દાન કહેલું છે.
યત્તુ પ્રત્યુકારાર્થં ફલમુદ્દિશ્ય વા પુન:,
દીયતે ચ પરિકિલષ્ટં તદ્દાનં રાજસં સ્મૃતમ્.
પરંતુ બદલાના હેતુથી અથવા ફળની આશાથી કચવાતા મને જે દાન આપવામાં આવે છે, તેને રાજસ દાન કહેલું છે.
અદેશેકાલે યદ્દાનમપાત્રેભ્યશ્ચ દીયતે,
અસત્યકૃતમવજ્ઞાતં તત્તામસમુદાહ્યતમ્.
જે દાન સત્કાર વગર, તિરસ્કારથી અને અયોગ્ય દેશ-કાળમાં કુપાત્રને આપવામાં આવે છે, તેને તામસ દાન કહેલું છે.

ૐ તત્સદિતિ નિર્દેશો બ્રહ્મણસ્ત્રિવિધ: સ્મૃત:,
બ્રાહ્મણાસ્તેન વેદાશ્ચ યજ્ઞાશ્ચ વિહિતા: પુરા.

ૐ તત્ સત્ આ ત્રણ શબ્દો બ્રહ્મના વાચક છે, તેનાથી પૂર્વે બ્રાહ્મણો, વેદો અને યજ્ઞો નિર્મિત થયા છે.

તસ્માદોમિત્યુદાહૃત્ય યજ્ઞદાનતપ:ક્રિયા:,
પ્રવર્તન્તે વિધાનોક્તા: સતતં બ્રહ્મવાદિનામ્.
માટે બ્રહ્મને જપનારાઓ (શાસ્ત્રવિધિથી) નિયત કરેલી યજ્ઞ, દાન, તપ, રૂપી ક્રિયાઓ હંમેશાં ૐ એવો ઉચ્ચારણ કરીને આરંભ કરે છે.

તદિત્યનભિસંધાય ફલં યજ્ઞતપ: ક્રિયા:,
દાનક્રિયાશ્ચ વિવિધા: ક્રિયન્તે મોક્ષકાંક્ષિભિ:
‘તત્’ એટલે ‘સર્વ પરબ્રહ્મનું જ છે.’ એવા ભાવથી ‘તત્’ નો ઉચ્ચાર કરીને ફળની આકાંક્ષા રાખ્યા વિના મુમુક્ષુઓ કેવળ મોક્ષ માટે યજ્ઞ, દાન અને તપ વિગેરે ક્રિયાઓ કરે છે.
સદભાવે સાધુભાવે ચ સદિત્યેતત્પ્રયુજ્યતે,
પ્રશસ્તે કર્મણિ તથા સચ્છબ્દ: પાર્થ યુજ્યતે.
‘સત્’ આ પરમાત્માનું નામ સદભાવમાં અને શુદ્ધ ભાવમાં વપરાય છે, તથા કલ્યાણકારક કર્મો માટે પણ ‘સત્’ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે.
યજ્ઞે તપસિ દાને ચ સ્થિતિ: સદિતિ ચોચ્યતે,
કર્મ ચૈવ તદર્થીયં સદિત્યેવાભિધીયતે.
યજ્ઞ, તપ અને દાનમાં દઢ રહેવું એ પણ ‘સત્’ કહેવાય છે, અને ઈશ્વરપ્રીત્યર્થે કરેલું કર્મ હોય તે પણ ‘સત્’ કહેવાય છે.
અશ્રદ્ધયા હુતં દત્તં તપસ્તપ્તં કૃતં ચ યત્,
અસદિત્યુચ્યતે પાર્થ ન ચ તત્પ્રેત્ય નો ઈહ.
હે પાર્થ ! અશ્રદ્ધાથી યજ્ઞ, દાન, તપ કે જે કંઈ કર્મ કરેલું છે, તે અસત્ કહેવાય છે. તેથી તે આલોક કે પરલોકમાં કલ્યાણકારક થતું નથી.
ૐ તત્સદિતિ શ્રીમદ્ ભગવદગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાઅર્જુનસંવાદે શ્રદ્ધાત્રયવિભાગયોગો નામ સપ્તદશોડધ્યાય:
હરિ ૐ તત્સત્ હરિ ૐ તત્સત્ હરિ ૐ તત્સત્

No comments:

Post a Comment