Google Search

Monday, June 18, 2012

મન ! તોહે કેહિ વિધ કર સમજાઉં ? – પુષ્કર ગોકાણી


મનને સમજાવવું બહુ દુષ્કર છે. મનથી થાકી જઈને પ્રભુશરણ લેવાનાં, પસ્તાવાનાં ઘણાં ઘણાં પદ સંતજનોએ ગાયાં છે, તો આપણી સંસારીની તો વાત શી ? આપણે સૌ મનને સમજ્યા નથી તેથી આમ બને છે. મનની ખાસિયત સમજવા જેવી છે.
આચાર્ય રજનીશે તેને માટે એક મીઠી કથા કહી છે : એક ફકીર ઘરમાંથી બહાર નીકળવાની તૈયારી કરતો હતો. જેને તેણે વચન આપ્યું હતું, સમય નક્કી કર્યો હતો તેમને ઘેર તે મળવા જતો હતો. હજુ તે નીકળતો જ હતો ત્યાં ઘોડે બેસીને એનો એક બાળપણનો દોસ્ત આવીને ઊભો રહ્યો. ફકીરે તેને જોઈ કહ્યું : ‘ભાઈ, તું ઝૂંપડીમાં આવ અને થોડી વાર બેસ, વિશ્રામ લે. કેટલાક વખતથી તારી રાહ જોતો હતો કે તું આવીશ ત્યારે સાથે ઘણી વાતો કરીશું. પણ દુર્ભાગ્યે અત્યારે મેં કેટલાક મિત્રોને મળવાનો સમય આપ્યો છે, તેથી જવું પડે તેમ છે. ઝટપટ એકાદ કલાકમાં પાછો આવી શકીશ.’
તેના મિત્રે કહ્યું : ‘મને ચેન નહિ પડે. એ કરતાં હું તારી સાથે આવી શકત તો સારું થાત. પણ શું થાય ? ધૂળ ઊડવાને કારણે મુસાફરીમાં મારાં કપડાં સાવ ગંદા થઈ ગયાં છે. એમ કર, તારી પાસે સારાં કપડાં હોય તો મને આપ. હું કપડાં બદલીને તારી સાથે જ આવું. તમને હરકત નહિ પડે ને ?
ફકીરે ખુશ થઈ, સંમતિ આપી. તેની પાસે સારાં કપડાં હતાં. એક જાગીરદારે એને બહુમૂલ્ય કોટ, એક પાઘડી અને સુંદર ધોતી અને જોડા ભેટ આપ્યાં હતાં. એણે એને સાચવી-સંભાળીને રાખ્યાં હતાં કે કોઈ વાર જરૂર પડશે તો પહેરાશે, પણ હજુ સુધી જરૂર પડી નહોતી. ખુશીથી તેણે કાઢી આપ્યાં. હાથ-મોં ધોઈ મિત્રે એ કપડાં પહેરી લીધાં, ત્યારે ફકીરને મનમાં એની થોડી અદેખાઈ આવી. વસ્ત્રો પહેરતાં એનો મિત્ર કોઈ સમ્રાટ જેવો શોભવા લાગ્યો. કિમતી કોટ હતો, જરિયાન પાઘડી હતી, મૂલ્યવાન ધોતી હતી, શાનદાર જોડા હતા, એની સમક્ષ ફકીર એક દીન-હીન, સામાન્ય ચાકર જેવો દેખાવા લાગ્યો.
ફકીરે વિચાર્યું : ‘આ તો ભારે થઈ, ઊંધું વેતરાયું. જેને ઘેર મિત્રને લઈ જઈશ એમનું ધ્યાન એના ઉપર જશે. મારી સામે તો કોઈ જોશે જ નહિ. મારી આબરૂ ઓછી થશે ! મારાં જ કપડાં અને છતાં હું તેની આગળ ઊભા રહેવાને લાયક પણ રહ્યો નહિ ?’ ત્યાં તેનો ફકીર આત્મા જાગી પડ્યો. તેણે મનને સમજાવવા માંડ્યું : ‘હું ફકીર છું. આત્મા-પરમાત્માની વાતો કરવાવાળો ! મોહમાયાનો ત્યાગ કરવાનું કહેવાવાળો ! આમાં તે શું છે ! આ કોટ પાઘડીમાં ? જવા દે, ભલે પહેર્યા તેણે ! એથી શું ફરક પડી જવાનો છે ?’
પણ જેમ જેમ ફકીર મનને સમજાવતો ગયો કે કોટ-પાઘડીમાં એવું શું ભર્યું છે તેમ તેમ કોટ-પાઘડી અને જોડા જ તેના મનમાં ઘુમરાવા લાગ્યાં. મિત્ર તો બીજી બીજી વાતો કરવા લાગ્યો, પણ ફકીરનું ચિત્ત તેમાં જરાયે ન પરોવાયું. મિત્ર તો લાંબા સમય પછી મળતો હતો. ઉપર ઉપરથી ફકીર તેની સાથે વાતો કરતો હતો, પણ મનમાં તો કાંઈક બીજું જ ચાલી રહ્યું છે. એનું ચિત્ત તો બસ, અંદર કોટ અને પાઘડીનું રટણ લગાવી રહ્યું છે. રસ્તે જે કોઈ સામે મળે તે કોઈ એની તરફ જોતાં જ નથી. સૌની નજર સ્વાભાવિક તેના મિત્ર તરફ વળે છે. એને તો ખરી મુશ્કેલી થઈ : ‘આ તો મેં આજે ભારે ભૂલ કરી નાખી.’ એમ મનમાં તેને થાય છે. આમ ને આમ તે ફકીરના સંબંધીને ત્યાં પહોંચ્યા, જ્યાં તેઓ જવાના હતા. ત્યાં પહોંચીને પરિચય કરાવ્યો : ‘મારો બાળપણનો મિત્ર છે. ખૂબ જ મજાનો માણસ છે.’ અને પછી અચાનક તેનાથી બોલાઈ ગયું, ‘અને રહી કપડાંની વાત, એ કપડાં મારાં છે.’
કારણ કે જેને ઘેર ગયા હતા તે સંબંધીઓ પણ એનાં કપડાંને જ જોઈ રહ્યા હતા. એના મનમાં રટણ ચાલુ જ હતું : ‘હાય, મારો કોટ ! મારી પાઘડી ! મારા જોડા.’ અને એને લીધે તે ક્યારનો હેરાન થતો હતો. એટલે સ્વાભાવિક જ જેને તે રોકવા, દમન કરવા સતત પ્રયત્ન કરી રહ્યો હતો એ જ તેના મોઢામાંથી નીકળી પડ્યું : ‘રહી કપડાંની વાત…. તે મારાં છે’
મિત્ર તો નવાઈ પામ્યો. ઘરનાં બધા માણસો દંગ થઈ ગયાં. આ તે ઓળખાણ આપવાની કેવી બેહૂદી રીત ! ફકીરને પણ બોલાઈ ગયા પછી પસ્તાવો થયો કે આ તો ભૂલ થઈ ગઈ. પસ્તાઈને તેણે મનને ફરી દબાવ્યું. બહાર નીકળી મિત્રની માફી માગી :
‘ભાઈ, ક્ષમા કર. મારાથી મોટી ભૂલ થઈ ગઈ.’
મિત્રે કહ્યું, ‘મને તો ખૂબ જ નવાઈ લાગી કે તું આવું કેમ બોલ્યો ?’
‘કાંઈ નહિ. વાતચૂક થઈ ગઈ.’ ફકીરે નીચી આંખે કહ્યું.
પણ ખરું જોતાં બોલવામાં ભૂલચૂક ક્યારેય થતી નથી. એ જ્યારે કહેવા માંડ્યો કે, ‘માફ કરી દે, ભૂલ થઈ ગઈ.’ ત્યારે શું તેને ઓચિંતો ખ્યાલ આવ્યો હતો ! વાસ્તવમાં એ બરોબર સમજતો હતો કે એવો ખ્યાલ કેમ અને ક્યાંથી આવ્યો છે !
બીજા સ્નેહીને ત્યાં ગયા. મિત્ર અલકમલકની વાતો કરતો હતો અને તે આખેય રસ્તે મનમાં ઠસાવતો રહ્યો કે ગમે તે થઈ જાય, પણ હવે હું નથી કહેવાનો કે કપડાં મારાં છે. મનને ખૂબ પાકું તૈયાર કર્યું. ઘરને બારણે પહોંચીને એણે સંકલ્પ કરી લીધો કે કપડાં મારાં છે એ વાત જ ઉઠાવવી નથી. ફકીર મનોમન લડતો લડતો દરવાજે પહોંચ્યો. હવે પરિચય આપતાં એણે ખૂબ જ સંભાળ રાખી : ‘આ મારા મિત્ર છે.’ પણ જ્યારે એ બોલતો હતો ત્યારે જાણતો હતો કે એની સામે કોઈ જોતું નહોતું. ઘરના સહુ લોકો એના મિત્રને જ અહોભાવથી જોઈ રહ્યાં છે. એટલે એને ફરી ખ્યાલ આવ્યો કે, આ જેને જોઈ રહ્યાં છે તે ‘કોટ, પાઘડી, ધોતી, જોડા મારાં છે.’ પણ તેણે યાદ કર્યું કે, ‘એણે દઢતાથી સોગંદ ખાધા છે કે એ વાત જ નથી કરવી. મારે અને કપડાંલત્તાંને શું ? કપડાંલત્તાં ખરી રીતે તો કોઈનાંય નથી. આ સંસાર છે તે પણ બધી માયા જ છે.’
આવું બધું તે પોતાના મનને સમજાવી રહ્યા હતા, પણ અસલિયત અંદરથી બહાર આવવા મથી રહી હતી. તેણે કહ્યું :
‘મારો મિત્ર છે, બાળપણનો દોસ્ત છે. બહુ મજાનો માણસ છે. રહી કપડાંની વાત ! એ તેનાં છે, મારાં નહિ.’
આજ સુધી આવો પરિચય અપાયો હોય એવું ક્યાંયે સાંભળ્યું નથી. થોડા સમયે બહાર નીકળી વળી તે મિત્રની માફી માગવા લાગ્યો :
‘ભારે ભૂલ થઈ ગઈ. શું કરું ? શું ન કરું ? આજે મને આ શું થઈ ગયું છે ? આજ સુધી મારી જિંદગીમાં કપડાંએ મને કદી પકડ્યો નથી. પરમાત્મા ! આ તો મને થયું છે શું ?’ એ બિચારાને ક્યાં ખબર હતી કે, એની સોગંદ ખાવાની યુક્તિ જ એવી હતી કે, જેનો ઉપયોગ ખુદ પરમાત્મા કરે તો તે પણ કપડાંની વાત પકડી લે.
મિત્રે કહ્યું : ‘હું હવે તારી સાથે નથી આવતો.’ એટલે ફકીર તો તેના પગમાં પડી ગયો અને કરગરવા માંડ્યો : ‘ના, ના એમ ન કરો. મને જિંદગીભર મનદુ:ખ રહી જશે. અરેરે ! મેં તારી સાથે કેવો દુર્વ્યવહાર કર્યો ! હું ખરેખર સોગંદ ખાઈને કહું છું કે કપડાનું નામ સુદ્ધાં નહીં ઉચ્ચારું.’
ત્યાંથી પહોંચ્યા ત્રીજા મિત્રને ઘેર. હવે એણે શ્વાસોશ્વાસમાં સંયમ ભરી રાખ્યો હતો. પોતાનો શ્વાસ પણ રોકી લીધો. આકરામાં આકરા સોગંદ ખાધા હતા કે કપડાંની વાત જ નથી કરવી. પણ એની હાલતની કલ્પના કરવા જેવી છે. જો તમે ધાર્મિક હશો તો અનુભવથી અનુમાન કરી શકશો કે એની હાલત કેવી થઈ હશે ! જો તમે વ્રત લીધું હોય, સોગંદ ખાધા હોય, વ્રત-સંકલ્પ પૂરાં કર્યાં હોય તો તે દરમિયાન તમારા મનમાં કેવી સ્થિતિનો અનુભવ થાય છે, તો તમે બરાબર સમજી શકશો.
ફકીર ઘરમાં દાખલ થયો. તેને કપાળે પરસેવો વળી ગયો હતો. એને પરસેવે રેબઝેબ જોઈને, એના આ પરિશ્રમથી તેનો મિત્ર ડરી ગયો. એની નસેનસ ફૂલી ગઈ છે. એકેક શબ્દ તોલી તોલીને બોલી રહ્યો છે : ‘મારા…. મિત્ર….. છે… બચપણના… દોસ્ત છે… બહુ ભલા માણસ…. છે.’ એક ક્ષણ એ રોકાયો, અંદરના મનમાંથી એક ધક્કો જાણે વાગ્યો અને બોલી ઊઠ્યો : ‘રહી કપડાંની વાત. પણ ક્ષમા કરજો, એ સંબંધમાં કંઈ પણ બોલવાના મેં સોગંદ ખાધા છે, એટલે એ હું કંઈ નહિ કહું.’
આ વાત ફકીરની નથી, આપણા બધાની છે. આપણા જીવનની આ વાત છે, જેમાં મન આવું જ કરે છે. દરેક ઘટના અને વ્યવહારમાં મન પોતે પોતાને છેતરીને, વાઘા બદલીને આત્મદ્વંદ્વ ઊભું કરે છે. પોતાની સાથે લડે છે, હારે છે અને પસ્તાઈને ફરી ફરી કટિબદ્ધ થાય છે. એટલે મન ઉપર જે નિયમ મૂકીએ, તેની સાથે મન સદાય બળવો કરે છે. મનનો એ સ્વભાવ છે. બુદ્ધિનું એ વલણ છે. મનના આ સ્વભાવને આપણે સમજીએ તો તેની સાથે કામ પાડવાનું સરળ પડે. એનો અર્થ એવો નહિ કે મનને સ્વચ્છંદી બનવા દેવું, મનનું દમન નહિ કરવાનું; પણ મનને સમજીએ તો તેનો નિગ્રહ આપોઆપ થશે. મનને જોયા કરીશું તો મનની ગતિવિધિ જાણી શકાશે. મનને સ્થિર કરવાના કેટલાક ઉપાયો વિશે ફરી કોઈવાર વાત કરીશું.

No comments:

Post a Comment