Google Search

Monday, June 18, 2012

અન્તકાલેપિ મામેવ…. – પોપટલાલ પંચાલ


આપણે ત્યાં ભારતીયોમાં એક લોકવાયકા છે : ‘ઘડપણમાં ગોવિંદ ગાઈશું.’ બાળપણમાં તો ગોવિંદ ગાવાની જરૂર નહોતી કે સમજણ નહોતી. જુવાનીમાં સંસારની માયા વળગેલી રહેતી – ધન કમાવું, બૈરીછોકરાંનું ભરણપોષણ કરવું, ભોગ ભોગવવા…. ને એટલું કરતાં સમય વધે તો યશ: પિંડે કમાણી કરવા કર્મ કરવું. એમાં ગોવિંદ ક્યાંથી સાંભરે ?
કોઈક ગીતમાં ગાયું છે કે : ‘બચપન ખેલ મેં ખોયા, જુવાની એશમેં ખોઈ; બુઢાપા દેખ કર રોયા…’ અને એમ કરતાં કરતાં જિંદગી પૂરી થઈ ગઈ ! જગતગુરૂ શંકરાચાર્યે પણ લખ્યું છે : ‘અંગ ગલિતમ, પલિતં મુંડમ, દશનવિહિન6 જાતં તુંડમ; વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ, તદપિ ન મુંચતિ આશાપિંડમ !’ અને આપણે તો છોકરાંના છોકરાં સુધી ચિંતા કરનારી પ્રજા છીએ ! ઘરડા થઈએ ત્યાં સુધી આશાતૃષ્ણા છૂટતાં નથી. કેટલાંકને તો વધે છે ! પછી ઘડપણમાં ગોવિંદ ક્યાંથી ગવાય ?
આ સંદર્ભમાં એક દષ્ટાંત યાદ આવે છે. કોઈ એક ગામમાં હરિકથા ચાલતી હતી. ત્યાં એક પ્રસંગને અનુલક્ષીને કથાકાર શાસ્ત્રી મહારાજે ભગવદગીતાના આઠમા અધ્યાયનો પાંચમો શ્લોક ટાંક્યો :
‘અન્તકાલેપિ મામેવ સ્મરણ મુક્તા કલેવરમ,
ય: પ્રયાતિ મદભાવં યાતિ નાસ્ત્યત્ર સંશય:’
“યાને કે અન્તકાળે પણ મારું સ્મરણ કરતો કરતો જે મનુષ્ય આ દેહ છોડી જાય છે તે મારા જ ભાવને પામે છે એમાં સંશય નથી.”
એ સાંભળી કથાશ્રવણ કરવા આવેલા વ્યાપારી બુદ્ધિવાળા એક જીવને થયું : ‘લ્યો, આ તો સાવ સહેલું ને સુતર. સાકરઘીના શીરા જેવું સ્વાદિષ્ટ. માત્ર મરણ નજીક આવે ત્યારે ભગવાનનું સ્મરણ કરી લેવાનું. આખી જિંદગી એનાં પૂજાભક્તિ કરવાની જરૂર ક્યાં ? અને આ તો જમાનોય ‘ઈન્સ્ટન્ટ’નો છે. – ઈન્સ્ટન્ટ કૉફી, ઈન્સ્ટન્ટ ઢોકળાં, ઈન્સ્ટન્ટ ઈડલી ઢોંસા…. એમ ઈન્સ્ટન્ટ સ્વર્ગ ! અન્તકાળે ભગવાનનું નામ લીધું નથી ને સ્વર્ગમાં પહોંચ્યા નથી. પળમાં બેડો પાર !’ અને એ બચારા જીવે પાછી એ ભગવદવચન પર મનોમન મહોર મારી : ‘આ તો ગીતાના ગાનાર શ્રીકૃષ્ણનું વચન છે. એ મિથ્યા હોય જ નહીં !’ પણ સવાલ એ છે કે અન્તકાળે ભગવાનનું સ્મરણ થશે ખરું ? એનું નામ જીભ પર આવશે ખરું ?
ડોંગરે મહારાજ એક દષ્ટાંત કહેતા : ‘એક સોની હતો. એ માંદો પડ્યો. સખત તાવ આવ્યો. અન્તકાળ નજીક આવ્યો હોય એમ લાગ્યું. પત્ની, પુત્રો, પુત્રવધુઓ વગેરે પરિવારસભ્યો બીમાર સોનીની પથારી આગળ ભેગાં થઈ ચિંતાતુર વદને બેઠાં હતાં. ત્યાં નાનો દીકરો દાક્તરને બોલાવી લાવ્યો. દર્દીની નાડી, તાવની માત્રા વગેરેની ચિકિત્સા કરી દાક્તરે તાવ ઊતરી જાય એવું સારું ઈન્જેકશન માર્યું ને બીજી ગોળીઓ લખી આપી. કલાકેક બાદ સોનીનો તાવ ઘણો હળવો થઈ ગયો. એને ઠીક લાગવા માંડ્યું. એ જોઈ મોટો દીકરો કહે : ‘તાવ સાડા ચારથીય ઉપર પહોંચી ગયેલો. ઊતરતો જ નહોતો. હવે સારું છે. હરિસ્મરણ કરો, બાપુજી.’…. એટલે ‘તાવ’ ને ‘ભાવ’ સમજી પથારીમાંથી ફટાક બેઠા થઈ જતાં સોની આંખો તગતગાવી એના મોટા દીકરાને કહે : ‘મૂરખ છો મૂરખ ! હરિસ્મરણ મારા કપાળમાંથી કરું ? ભાવ સાડાચારથીયે ઉપર જતો રહ્યો હતો તો પેલી બધી પાટો (ચાંદી-સોનાં) વેચી દેવી જોઈતી’તી ને ? વાસ્તવમાં, આખી જિંદગી ચાંદીસોનાના ભાવની ચડઊતરની જ જેણે વ્યાધિ કરી હોય એને અન્તકાળે હરિસ્મરણ ક્યાંથી થાય ?
ચાલો, થોડો વિશેષ તર્ક લડાવીએ :
જે વિદ્યાર્થી આખું વરસ રખડે, વાંચે નહીં, પાઠ પાકા ના કરે અને પરીક્ષા વખતે પાઠ યાદ આવે ? એ પાસ થાય ? અગાઉના વખતમાં વિદ્યાર્થીઓને સ્કૂલમાં પહેલપ્રથમ આંક, લેખાંપલાખાં, કોષ્ટક, કવિતાઓ વગેરેનો મુખપાઠ કરાવવામાં આવતો. કેમ ? કારણ કે તો જ એ બધું સ્મૃતિમાં રહે અને પરીક્ષાટાણે ગણિત અને ભાષા જેવા વિષયોમાં એનો ફટાફટ ઉપયોગ થઈ શકે. રસોઈના સંદર્ભમાં બહેનોનો દાખલો લઈએ : અથાણાં, મુરબ્બા જેવી જે વાનગીઓ વરસમાં એકાદ વાર ઋતુ પ્રમાણે અથવા કોઈ ખાસ પ્રસંગને અનુલક્ષીને બનતી હોય ત્યારે એ બનાવતાં ગૃહિણીઓએ પોતાની અંગત નોંધપોથીમાં યા તો રેસિપીબુકમાં જોવું પડે છે. અર્થાત્ આગલી સફરમાં એ વાનગી માટે ક્યા મસાલા કેટલા પ્રમાણમાં જોખેલા એ યાદ કરવું પડે છે. પરંતુ દાળશાક જેવી જે વાનગી રોજ બનતી હોય છે એને માટે નોંધપોથ્જી જોવી પડતી નથી. એમાં તો રસોઈ કરનાર આંખો મીંચીને કે ઊંઘમાં મસાલા નાખે તોય બરાબર જ પડે છે. એવું જ ટેલિફોનનું છે. જે વ્યક્તિને આપણે વારંવાર ફોન કરતા હોઈએ એનો નંબર સીધો જ જરૂરી બટનો દબાવી જોડી દઈએ છીએ. ડાયરી કે ટેલિફોનની ડિરેક્ટરી ઉઘાડી જોવું પડતું નથી, કારણ કે એ નંબર આપણી સ્મૃતિમાં જડાઈ ગયો હોય છે. પરંતુ કોઈ વનુભાઈ કે સનુભાઈને આપણે વરસને વચલે દહાડે કે દિવાળી-ઈદ-ક્રિસમસ જેવા તહેવારના દિવસે અભિનંદન પાઠવવા ટાણે જ ફોન પર યાદ કરતા હોઈએ તો તેનો નંબર ડાયરીમાં જોવો પડે છે ને ?
અન્તકાળે ભગવાનના સ્મરણનું પણ આવું જ છે – જેને આખી જિંદગી યાદ ના કર્યો હોય તે અન્તકાળે ક્યાંથી યાદ આવવાનો ? માનસકાર સંતકવિ તુલસીદાસ તો કહે છે : ‘જનમ જનમ મુનિ જતન કરાહી, અન્ત રામ મુખ આવત નાહી !’ પ્રખર વેદાચાર્ય પ્રજ્ઞાચક્ષુ સ્વ. ગંગેશ્વરાનંદજી કહેતા કે ‘અન્તકાલે ઈતિ પ્રતિક્ષણસ્ય અન્તકાલે’ અર્થાત્ પ્રતિક્ષણ હરિસ્મરણ કરનાર ભગવદ-ભાવને પામે.
વાસ્તવમાં હરિસ્મરણ ટેવ બની જવું જોઈએ. સ્નાનાદિ નિત્યકર્મોની માફક હરિસ્મરણ નિત્યસંસ્કાર બની રહેવું જોઈએ. પૂજાભક્તિમાં સાતત્યનો મહિમા મોટો છે. ગીતામાં પણ એકથી વિશેષ વાર આ સાતત્ય પર ભાર મૂકવામાં આવ્યો છે. ગીતાના 9મા અધ્યાયના 22મા શ્લોકમાં અને 12મા અધ્યાયના 1લા શ્લોકમાં નિત્યયુક્તા અને સતતયુક્તાની વાત શ્રીકૃષ્ણે ભારપૂર્વક કરી છે. બીજા શબ્દોમાં કહીએ તો જેમ ખાધાપીધા વિના ન જીવાય એમ હરિસ્મરણ વિના બનવું જોઈએ.
મારી બા પ્રાથમિક સ્કૂલનું પગથિયું પણ ચઢી નહોતી. સાવ નિરક્ષર હતી. પણ દરરોજ અચૂક સવાર-સાંજ ઘરના દેવમંદિરમાં ને તુલસીક્યારે દીવો કરવાનો તેનો અખંડ નિયમ હતો. ભક્તિનો મહિમા ગાતાં ક્યારેક બા મને કહે : ‘ભઈ, ગાયના શિંગડા પર તલ સ્થિર રહે એટલી ઘડી પણ આપણે જો ભગવાનનું એકચિત્તે સ્મરણ કરીએ તો બેડો પાર થઈ જાય !’ પણ ગાયના શિંગડા પર તલ સ્થિર રહે જ ક્યાંથી ? ગાયનાં શિંગડાં જેવાં આપણાં ચંચળ મન વાંદરાની માફક વિષયોની ડાળી પર કૂદાકૂદ કરનારાં છે. ગીતાના ભક્તિયોગમાં શ્રીકૃષ્ણ કહે છે : ‘મય્યેવ મન આધસ્વ, મયિ બુદ્ધિ નિવેશય’ અર્થાત્ તારાં મનબુદ્ધિ તું સતત મારામાં પરોવી રાખ.
પણ આપણી વાત તો એવી છે કે મનબુદ્ધિ સિવાય બીજું જે કાંઈ ભગવાન માગે તે દઈ દઈએ – એ બે નહીં ! પછી અન્તકાળે આપણે એને ફોન કરીએ તો સામેથી ‘રૉગ નંબર !’ નો જ પ્રતિભાવ સાંપડે કે બીજુ કાંઈ ! એટલે ગોવિંદ ગાવાનું ઘડપણ સુધી મુલતવી ના રખાય. નહીં તો પેલા રખડેલ વિદ્યાર્થીની માફક નાપાસ થઈએ ને ઉપલા વર્ગમાં ના જવાય !

No comments:

Post a Comment