Google Search

Friday, June 15, 2012

સુભાષિત રત્નાવલી – પ્રો. ડૉ. એ. એમ. પ્રજાપતિ


[1]
आस्ते भग आसीनस्योर्ध्वस्तिष्ठति तिष्ठत: ।
शेते निपद्यमानस्य चराति चरतो भग: ।। चरैवेति ।। (ऎतरेय. ब्राह्मण)
બેઠાડુનું ભાગ્ય પણ બેઠેલું રહે છે. ઊભેલાનું અર્થાત કાર્ય કરવા કટિબદ્ધ થયેલાનું ભાગ્ય ઊભું હોય છે. જે પડી રહે છે, સૂતો હોય છે, તેનું ભાગ્ય પણ સૂઈ રહે છે. અર્થાત ભાગ્ય હોય તોયે ફલદાયી બનતું નથી. પણ જે ચાલતો રહે છે, શ્રમપરાયણ છે, તેનું ભાગ્ય પણ સદા ચાલતું-ફળતું રહે છે.
[2]
घृति: क्षमा दमोडस्तेयं शौचमिन्द्रियनिग्रह: ।
धीर्विधा सत्यमक्रोध: दशकं धर्मलक्षणम ।। (मनुस्मृति)
ધીરજ, ક્ષમા, દમ, અસ્તેય, શૌચ અર્થાત પવિત્રતા, ઈન્દ્રિયો પર કાબુ, સારાસાર સમજનાર બુદ્ધિ, વિદ્યા, સત્ય અને અક્રોધ; આ દશ ગુણો જ ધર્મનું લક્ષણ છે. અર્થાત આ દસ ગુણો હોય તો જ મનુષ્ય ધાર્મિક થયો ગણાય, બહારનાં ચિન્હો માત્રથી નહીં.
[3]
सुखं शेते सत्यवक्ता सुखं शेते मितव्ययी ।
हितभुक मितभुक चैव तथैव विजेतेन्द्रिय: ।। (चरक)
સત્ય બોલનાર, જરૂર પૂરતું જ બોલનાર, આવશ્યકતાનુસાર ખર્ચ કરનાર, હિતકારી પદાર્થ ખાનાર અને તેયે પરિમિત માત્રામાં, વળી જેની ઈન્દ્રિયો વશમાં છે, તે સુખપૂર્વક ઊંઘે છે. અર્થાત તે નીરોગી અને પ્રસન્નચિત્ત હોય છે.
[4]
आदित्यचन्द्रावनिलोडनलश्च द्योर्भूमिरापो हृदयं यमश्च ।
अहश्च रात्रिश्च उभे च संध्ये धर्मोडपि जानाति नरस्य वृत्तम ।। (महाभारत)
સૂર્ય, ચંદ્ર, વાયુ, અગ્નિ, આકાશ, ભૂમિ, જલ, હૃદય, યમ, દિવસ, રાત, પ્રાત: અને સાયં સંધ્યા તથા ધર્મ; આ બધાં મનુષ્યના આચરણનાં સાક્ષી છે. અર્થાત માણસનું કાંઈ પણ પુણ્ય કે પાપ ગુપ્ત રહી શકતું નથી.
[5]
स्वर्गस्थितानामिह जीवलोके चत्वारि चिह्नानि भवन्ति देहे ।
दानप्रसंगो मधुरा च वाणी देवार्चनं ब्राह्मणतर्पणं च ।।
अत्यन्तकोप: कटुका च वाणी परेषु मैत्री स्वजनेषु वैरम ।
नीचप्रसंग: कुलहीनसेवा चिह्नानि देहे नरकस्थितानाम ।। (चाणक्यनीति)
સ્વર્ગલોકમાંથી સાક્ષાત જે લોકો ભૂમિ પર મનુષ્યરૂપે અવતરેલા છે તેમના દેહમાં ચાર ચિહ્નો હોય છે : દાન દેવું, પ્રિય વાણી બોલવી, દેવપૂજા કરવી અને ગુણકર્મથી જે બ્રાહ્મણ હોય એટલે કે વિદ્વાન હોય તેમને પ્રસન્ન રાખવાં. અતિશય કોપ, કડવી વાણી, પારકાઓની મૈત્રી, સ્વજનોથી વેર, નીચ-દુર્ગુણીઓનો સંગ અને ખરાબ લોકોની સેવા – આ નરકમાંથી જે મનુષ્યો સીધા ઊતરી આવ્યા હોય તેઓમાંના અપલક્ષણો છે.
[6]
यथा काष्ठं च काष्ठं च समेयातां महोदधो ।
समेत्य च व्यपेयातां तद्वद्व भूतसमागम: ।। (महाभारत)
જેમ સમુદ્રમાં તરંગોને લીધે ધકેલાતાં લાકડાં એકબીજાને મળે છે અને વળી પાછાં અલગ થઈ જાય છે તેવી રીતે જ મનુષ્યો કર્મના બળે એકબીજાને મળે છે અને સમય આવ્યે વિખૂટાં પડે છે.
[7]
दीर्धावै जाग्रतो रात्रि: दीर्घं श्रान्तस्य योजनम ।
दीर्घो बालानां संसार सद्धर्मम अविजानताम ।। (धम्मपद)
ઉજાગરો થયો હોય તેને રાત લાંબી લાગે, થાકેલાને યોજન (ચાર માઈલ) લાંબો લાગે, એ જ રીતે સાચા ધર્મને ન સમજનાર મૂઢ માણસનો સંસાર (જન્મ-મરણના ફેરા) લાંબો હોય છે.
[8]
कस्मादिन्दुरसौ धिनोति जगतीं पीयूषगर्भे: करै:
कस्माद्वा जलधारयैव घरणिं घाराधर: सिचतिं।
भ्रामं भ्राममयं च नन्दयति वा कस्मात त्रिलोकीं रवि:
साधूनां हि परोपकारकरणे नोपाध्यपेक्षं मन: ।।
આ ચંદ્ર શા કારણસર પોતાનાં અમૃતમય કિરણોથી પૃથ્વીને પ્રસન્ન કરતો હશે ? અથવા તો મેઘ શા માટે પોતાની જલધારાથી ઘરતીને સીંચતો હશે ? સૂર્ય પણ શાને ભટકી ભટકીને આ ત્રણે લોકને આનંદિત કરતો હશે ? સજ્જનો જ્યારે ઉપકાર કરતા હોય છે ત્યારે તેમના મનને કોઈ કારણની અપેક્ષા હોતી નથી.
[9]
शूरा सन्ति सहस्रश: प्रतिपदं विद्याविदोडनेकश:
सन्ति श्रीपतयो निरस्तधनदास्तेडपि क्षितौ भूरिश: ।
ये कर्मण्यनिरीक्ष्य वान्यमनुजं दुखार्दितं यन्मन-
स्ताद्रूप्तं प्रतिपद्यते जगति ते सत्पुरुषा: पचषा: ।।
આ પૃથ્વી પર શૂરવીરો તો હજારો છે, ડગલે ને પગલે વિદ્યાવાનો પણ અનેક છે, કુબેરને પણ પરાજિત કરે એવા ધનપતિઓ પણ અસંખ્ય છે. પરંતુ બીજા માણસને દુ:ખપીડિત જોઈને જેનું મન દુ:ખ અનુભવે તેવા સજ્જનો આ જગતમાં બે-પાંચ જ હોય છે.
[10]
दन्तेरुच्चलितं घिया तरलितं पादडध्रिणा कम्पितं
दुग्भ्यां कुडमलितं बलेन गलितं रुपश्रिया शोषितम ।
प्राप्तयां यमभूपतेरिह महाघाटयां घरायामियं
तुष्णा केवलमेकिकैव सुरभि धीरा पुरो नृत्यति ।।
દાંત ચાલવા લાગ્યા, બુદ્ધિ ભમવા લાગી, હાથ-પગ કંપવા લાગ્યા, બંને આંખો બિડાવા લાગી, બળ ગળવા લાગ્યું, રૂપની શોભા દૂર ચાલી ગઈ, (આ રીતે) આ પૃથ્વી પર યમરાજની મોટી ધાડ આવી છે (છતાં) આ તૃષ્ણા એક ધૈર્યવાળી યોદ્ધા છે કે જે આગળ આગળ નાચી રહી છે.
[11]
शास्त्रण्यधीत्यापि भवन्ति मूर्खा,
यस्तु क्रियावान्पुरुष: स विद्वान ।
सुचिन्तितं चौषधमातुराणां
न नाममात्रेण करोत्यरोगम ।।
શાસ્ત્રો ભણવા છતાં પણ માણસો મૂર્ખ રહે છે. સારો વિદ્વાન તો તે છે જે વિચારને આચારમાં મૂકે છે. ઔષધના નામનું જ સારી રીતે ચિંતન કરવાથી; તે રોગીઓના રોગને હરી લેતું નથી.
[12]
साहित्यसंगीतकलाविहीन: साक्षात्पशु: पुच्छविषाणहीन: ।
तृणं न खादन्नपि जीवमानस्तद्मागधेयं परमं पशुनाम ।।
સાહિત્ય, સંગીત અને કલા વિનાનો મનુષ્ય, પૂંછડું શીંગડાં વિનાનો પ્રત્યક્ષ પશુ છે; તે ઘાસ ખાધા વિના જીવે છે તે પશુઓનું પરમ ભાગ્ય ગણાય.
[13]
येषां न विद्या न तपो न दानं ज्ञानं शीलं न गुणो न धर्म: ।
ते मृत्युलोके भुवि भारभूता मनुष्यरुपेण मृगाश्चरन्ति ।।
જેનામાં વિદ્યા, તપ, દાન, જ્ઞાન, શીલ, ગુણ કે ધર્મ નથી, તેઓ પૃથ્વી પર ભારરૂપ બનીને મનુષ્યના રૂપમાં ફરતા પશુઓ છે.
[14]
घृष्टं घृष्टं पुनरपि पुनश्चदनं चारुगन्धं
छिन्नं छिन्नं पुनरपि पुन: स्वादु चैवेक्षुकाण्डम ।
दग्धं दग्धं पुनरपि पुन: काचनं कान्तवर्णं
न प्राणान्ते प्रकृतिविकृतिर्जायते चोत्तमानाम ।।
જેમ જેમ ઘસો તેમ તેમ ચંદન સારી સુગંધ આપે છે; જેમ જેમ કાપો તેમ તેમ શેરડીનો સાંઠો વિશેષ સ્વાદ આપે છે; જેમ જેમ તપાવો તેમ તેમ સોનું સારો ચળકાટ ઘારણ કરે છે. ઉત્તમ પુરુષો પ્રાણ જાય તોપણ સ્વભાવે વિકારી બનતા નથી.
[15]
दुर्जन: परिहर्तव्यो विद्ययालडंकृतोडपि सन ।
मणिना भूषित: सर्प: किमसौ न भयकर: ।।
દુર્જન (ખરાબ વ્યક્તિ) ભણેલો હોય (વિદ્યાથી શોભતો હોય) તો પણ તેનો ત્યાગ કરવો જોઈએ. કારણ કે સર્પ મણિથી શોભતો હોય, તોપણ શું તે ભયંકર નથી ?
[16]
लोभाविष्टो नरो वित्तं वीक्षते न स चापदम ।
दुग्धं पश्यति मार्जारो यथा न लगुडाहतिम ।।
જેમ બિલાડી દૂધને જુએ છે; પરંતુ પોતાને માથે ઉગામાયેલી લાકડીને જોતી નથી તેમ લોભિયો માણસ ધનને જુએ છે, પરંતુ આપત્તિને જોતો નથી.
[17]
कृपणेन समो दाता न भूतो न भविष्यति ।
अस्पृशन्नेव वित्तानि य: परेभ्य: प्रयच्छति ।।
કંજૂસ જેવો દાતાર કોઈ થયો નથી કે થશે નહિ; કારણ કે તે પોતાનું બધું ધન એને હાથ પણ અડાડ્યા વિના મરણ પછી બીજાને આપી દે છે.
[18]
शतेषु जायते शुर: सहस्त्रेषु च पण्डित: ।
वक्ता दशसहस्त्रेषु दाता भवति वा न वा ।।
સો પુરુષોમાં એક શૂરવીર પેદા થાય છે. હજારમાં એક વિદ્વાન થાય છે, દશ હજારમાં એક વક્તા બને છે; પરંતુ દાતાર (દાની) પુરુષ તો થાય કે ન પણ થાય.
[19]
कवचिद्विद्वगोष्ठी क्वचिदपि सुरामत्तकलह:
क्वचिद्विणावाद: क्वचिदपि च हाहेति रुदितम ।
कवचिद्रभ्या रामा क्वचिदपि जराजर्जरतनु
र्न जाने संसार: किममृतमय: किं विषमय: ।।
આ સંસાર શું અમૃતમય છે કે વિષમય છે, તેની ખબર પડતી નથી. એક ઠેકાણે વિદ્વાનોની ગોષ્ઠી ચાલે છે, તો બીજી બાજુ દારૂડિયાના મદભર્યા કજિયા ચાલે છે; કોઈ એક ઠેકાણે વીણા વાગે છે તો બીજી બાજુ હાહાકાર સાથે રૂદન થાય છે; કોઈ એક ઠેકાણે સુંદર રમણી જોવા મળે છે તો બીજે ઘડપણથી જીર્ણ થયેલું શરીર છે. ખરેખર, સંસાર કેવો છે તે કહેવું બહુ મુશ્કેલ છે.
[20]
गुणैर्गॅरवमायाति नोच्चैरासनमास्थित: ।
प्रासादशिखरस्थोडपि काक: किं गरुडायते ।।
કોઈ એક ઊંચા આસન પર (પદ/હોદ્દા પર) બેસવાથી કંઈ ગૌરવ વધતું નથી; ગૌરવ ગુણોને કારણે આવે છે. કાગડો રાજમહેલના શિખર પર બેઠો હોય, તેથી ગરુડ કહેવાશે ખરો ?

No comments:

Post a Comment