Google Search

Friday, June 15, 2012

પોષતું તે મારતું…! – હરેશ ધોળકિયા


વિશ્વનો શ્રેષ્ઠ આનંદ કયો ?
વિચારવાનો.
વિચાર જ જીવન છે. વિચાર છે તો જીવન છે. જીવનમાં બધું જ હોય, પણ તે સમજવા-માણવા વિચાર ન હોય, તો બધું વ્યર્થ છે. બધું ભોગવાતું લાગે, પણ તેને સૂક્ષ્મ રીતે માણી ન શકાય. દરેક ભોગવટો એક સમજ માગે છે – પછી તે શારીરિક ભોગની વાત હોય કે ઉપનિષદ. બંનેમાં અને તેમના વચ્ચે આવતા બધા વિષયોમાં-માણવાની શક્તિ કેવળ વિચાર જ આપે છે. વિચાર જ ‘દર્શન’ કરાવે છે. અને મજાની વાત એ છે કે જો વિચારવાનો આનંદ ગાઢ બની જાય, તો બહાર કશું પણ ન હોય, કેવળ ધૂળ પર બેઠા હોઈએ કે વિનાશ વચ્ચે બેઠા હોઈએ, તો પણ કશાનો વિષાદ નથી હોતો, કારણ કે વિષાદ પણ આખરે તો વિચારહીનતાનું જ પરિણામ છે. વિચાર તો કેવળ આનંદ લાવે. માટે જ વિશ્વના શ્રેષ્ઠ વિચારકો સંતો છે જે દેખાવમાં ‘ગરીબ’ છે ! ન્યૂનતમ સાધનો વચ્ચે રહે છે અને છતાં મસ્ત છે, પ્રજ્ઞાવાન છે.
વિચાર બે પ્રકારના છે. એક વિચાર ડુંગળી જેવા છે. ડુંગળીનો દડો ખૂબ મોટો દેખાય છે. પણ તેનાં પડ ઉખેડતા જાવ, તેમ તેમ તે નાનો થતો જાય છે. છેલ્લું પડ ઊખડી જાય, ત્યારે તે શૂન્ય થઈ જાય છે. કશું જ નથી બચતું. અંદરથી કશું નથી નીકળતું. કેટલાક વિચારો પણ દમદાર-ભભકાદાર લાગે, પણ તેનું વિશ્લેષ્ણ કરતા જવાય, તેમ તેમ નાના-ક્ષુદ્ર થતા જાય છે અને અંતે તેમાંથી કશો સાર નથી નીકળતો. સમય બગડવાની અનુભૂતિ થાય છે. તો કેટલાક વિચારો પેલા સાન્ટા કલોઝની ભેટ જેવા હોય છે. દેખાવમાં નાનકડા લાગે, પણ તેનું વિશ્લેષણ કરતા જઈએ, તેમ તેમ તે ઉઘડવા લાગે અને વિરાટ થતા જાય. વિશ્લેષણના અંતે વિચાર કરનાર તેના કારણે ધન્યતાનો અનુભવ કરે. એક જાતની આંતરિક સમૃદ્ધિથી ભરાઈ જાય, કૃતકૃત્ય બની જાય. સાન્ટાની ભેટથી જેમ ખુશ થઈ જાય છે, તેમ !
આવા વિચારો કરવાનો આનંદ આવતો હોય છે. વિચાર કરવા માટે ભારતીય સંસ્કૃતિએ એક વિશિષ્ટ પદ્ધતિ ઊભી કરી છે. તે છે સૂત્રો રચવાની. નાનાં-નાનાં બે-ચાર શબ્દોમાં સમાઈ જતાં સૂત્રો ભારતીય વૈદિક અને પૌરાણિક સાહિત્યમાં ઠેર ઠેર પથરાયેલાં દેખાય છે. પણ તેના પર મનન કરવાની શરૂઆત કરવામાં આવે, ઊંડા ઉતરતા જવાય, તો કૃતકૃત્યતાનો અનુભવ થવા લાગે છે, આનંદનો વિસ્ફોટ પ્રગટે છે મનમાં. ભીંજાઈ જવાય છે. સમાધિસ્થ થઈ જવાય છે. આવું એક સૂત્ર છે આપણે ત્યાં. હજારો લોકોએ ભૂલથી તેને ‘ગીતા’માં હોવાનું માન્યું છે, પણ તે છે ‘બ્રહ્મબિંદુ ઉપનિષદ’માં. ખૂબ જાણીતું સૂત્ર છે તે. હજારો વાર ટાંકી શકાય તેવું – અને ટંકાયેલું. તે છે – ‘મન એવં મનુષ્યાણામ કારણ બંધમોક્ષયો:’ – મન જ બંધન અને મોક્ષનું કારણ છે. યોગીઓથી માંડી મનોવિજ્ઞાનીઓ ‘મન’નું મહત્વ સમજાવવા તેનો છૂટથી ઉપયોગ કરે છે. દેખાવમાં સાદું વાક્ય છે, સ્પષ્ટ અર્થ ધરાવતું કે મનને કારણે જ મનુષ્ય બંધન એટલે કે ગુલામીમાં ફસાય છે અને આ મન જ પાછું તેને આ ગુલામીમાંથી મુક્ત કરી શકે છે. અથવા મોક્ષ આપે છે. માટે મન જ સર્વસ્વ છે. મનને સમજો. સીધો-સપાટ અને સાદો અર્થ ધરાવે છે તે. પણ એવો સાદો અર્થ છે નહીં. જેમ જેમ વિચાર કરતાં જઈએ, તેમ તેમ આ સૂત્ર ઉઘડતું જાય છે અને કેલિડોસ્કોપના વિવિધ રંગો જેમ નવી જ ડિઝાઈનો જન્માવે છે. અંતે કશોક નવો જ અર્થ આપે છે. સમજીએ….
‘મન જ બંધનનું કારણ છે.’
બંધન એટલે ગુલામી, ફસાવું, એકાંગી થવું, ખોટું દર્શન થવું, ભ્રમણા થવી, બંધાઈ જવું. પ્રથમ સમજી લેવાની જરૂર છે કે ‘મન’ નામની કોઈ ચીજ છે જ નહીં. મગજમાં ટુકડે ટુકડે વિચારો આવે છે, પણ સતત આવતા હોવાથી સાતત્યનો ભ્રમ ઉત્પન્ન કરે છે – ફિલ્મની ફ્રેમોની જેમ. તે જ છે ‘મન.’ મન એટલે વિચારો. જ્યાં સુધી વિચારો છે, ત્યાં સુધી જ મન છે.
એટલે વિચારો જ મહત્વના છે.
વિચારો બે પ્રકારના છે – શુભ અને અશુભ. અશુભ એટલે દુષ્ટ નહીં, પણ નકારાત્મક, નુકશાનકારક. વિશ્વના મોટા ભાગના – લગભગ પંચાણું ટકા-લોકોને વિચાર કેમ કરવો તેની તાલીમ જ નથી મળતી. મોટા ભાગે, ધર્મો તથા વદોની કૃપાથી, ‘માની લ્યો’ની તાલીમ મળે છે. એટલે બાળપણથી તેમને ‘શું વિચારવું’ તે શીખવવામાં આવે છે. અને ‘તે જ સાચા છે.’ તેવું ઠસાવવામાં આવે છે – પ્રેમ, રાષ્ટ્ર અને ધર્મના નામે ! પણ કદી પણ ‘કેમ વિચારવું’ તે નથી શીખવાતું. શંકા કરતાં તો ક્યારે પણ નથી શીખવાતું. તેને તો ‘નાસ્તિકતા’ જ મનાય છે.
પરિણામે વ્યક્તિ વિચાર-સજ્જતા નથી કેળવતી. તેને બાળપણથી એકલતાનો ડર પેસી જાય છે. માટે સતત ટોળું જ શોધે છે – પછી તે કુટુંબ હોય કે સમાજ ! અને તેના પ્રભાવમાં ‘ઘેટું’ બની જાય છે. આ ડર તેને સતત સંરક્ષણાત્મક બનાવે છે. માટે તે ડરના નકારાત્મક વિચારોનો ભોગ બને છે. ‘આમ નહીં થાય તો મારું શું થશે ?’ નો ડર તેને સતાવે છે. અને જ્યાં સુધી મગજ સ્વતંત્ર ન હોય, ત્યાં સુધી વ્યક્તિ સ્વતંત્ર ચિંતન ન કરી શકે. ડર એને સ્વતંત્ર કે સાહસિક થતાં અટકાવે છે. માટે તે ‘છે’ તેને વળગી રહે છે. સુરક્ષાનાં બધાં જ પગલાં સ્વીકારી લે છે અને ક્રમશ: તે વ્યક્તિ ગુલામ બનતી જાય છે. શરીર-સમાજ-સત્તા-યશ-પૈસા-ઘર બધાં તેના કિલ્લા થતા જાય છે. તેના પર તે આધારિત થતી જાય છે. છેવટે ગુલામ બને છે. આનું નામ ‘બંધન’ અને તેનું કારણ છે મનના વિચારો. ‘આ બધા વિના ન ચાલે’ નો વિચાર તેને ગુલામ બનાવે છે અને એવું નથી કે પૈસા કે શરીરના જ તે ગુલામ બને છે. ધર્મના પણ ગુલામ બને છે ! પણ અંતે તો બંધનમાં આવી જાય છે. તેના આસપાસ ફર્યા કરે છે. તેને છોડવા શક્તિમાન નથી રહેતા. પરિણામે પરમ સ્વાતંત્ર્યનો આનંદ અને તેના જબરદસ્ત ફાયદા ગુમાવી બેસે છે. વસ્તુગત કે વિચારગત ગુલામીમાં સબડી જીવન પૂરું કરે છે. આ અર્થમાં ‘મન જ બંધનનું કારણ છે.’
અને, આગળ કહે છે : ‘મન જ મુક્તિનું કારણ છે.’ એટલે કે વિચારની દિશા બદલાય, સ્વસ્થ વિચાર કરાય, તો આ મન જ મુક્તિનું માધ્યમ બને છે. કોઈ પણ જાતનાં વળગણને જો મન-વિચારોના માધ્યમથી પડકારે અને જાગૃત થઈ તપાસે, તો તરત ગુલામી કઠવા લાગશે, મોટા ભાગની ભ્રમણાઓ વાગવા લાગશે અને તેનાથી છૂટવાની પ્રક્રિયા શરૂ થશે. અંતિમ કક્ષાએ તે નકારાત્મકતાથી મુક્ત થઈ જશે. જે વિચારો બંધનરૂપ હતા, તે જ જાગૃત થઈ બદલાવવાથી સ્વતંત્રતાનું કારણ બને છે. આ સાદો અર્થ.
પણ હજી સૂત્ર વાગોળવાની જરૂર છે.
ઉપરછલ્લી રીતે લાગે કે બંધનનું કારણ મન, સ્વંત્રતાનું પણ કારણ છે. પણ ઊંડાણથી તપાસીએ તો આમાં વિરોધાભાસ દેખાશે. જે મન બંધનનું કારણ હોય, ગુલામી લાવતું હોય, તે વળી સ્વતંત્રતાનું કારણ કેમ બની શકે ? હાથમાં બાંધેલ હાથકડી જો ગુલામી હોય, તો તે હાથકડી પોતે સ્વતંત્રતાનું કારણ કેમ બની શકે…? કંઈક બીજું જ કહેવા માગે છે આ સૂત્ર.
કદાચ પ્રથમ સ્તરે વિચારની દિશા બદલાવવાથી સ્વતંત્રતાનો આભાસ થાય છે. બંધનમાં હળવાશ આવે છે. તે ગમે છે. પણ જેમ જેમ વ્યક્તિ જાગૃત થતી જશે – ભલે વિચારની મદદથી જ, તેમ તેમ તેને ખ્યાલ આવશે કે મન તો બંધનનું જ કારણ છે. તે મુક્તિનું કારણ બની જ ન શકે. બંધનને હળવું કરી શકે યા તેનું દર્શન કરાવી શકે, પણ તે ‘જાતે’ તો મુક્તિ ન જ આપી શકે. હાથકડી ‘ભાન’ કરાવે કે પોતે બંધનમાં છે, પણ હાથકડી મુક્તિ ન અપાવી શકે.
તો ? મુક્ત થવા હાથકડી તોડવી જ પડે.
તેમ મુક્ત થવાનું જ્ઞાન મન આપી શકે, પણ મુક્ત થવું હોય તો મન – જે બંધનનું કારણ છે – તેનાથી જ મુક્ત થવું પડે. હાથકડી તૂટે તો હાથ મુક્ત થાય, તેમ મન જ જાય – તેનાથી જ છૂટકારો થાય – તો જ સાચી મુક્તિ મળે. મનનો ત્યાગ જ મુક્તિ છે.
તો પછી ‘મન મુક્તિનું કારણ’ એમ કેમ કહ્યું ?
પ્રથમ પગથિયાં તરીકે જ. માણસને મનની આદત છે. ગુલામી છે. તે ન હોવાની કલ્પના પણ તેને ધ્રુજાવી દે. એટલે તે છોડવાના ભયે તે શરૂઆત જ ન કરે. માટે ‘મન ભલે રહ્યું, પણ તેનો ઉપયોગ કર’ કહે છે. પણ જેમ જેમ વિચાર કરશે, તેમ તેમ મનની પકડ ખ્યાલ આવશે અને વિચાર માત્ર જ ગુલામી છે તે સમજાશે. માટે ‘મૂળને જ કાપો’ ન્યાયે વિચારો જ દૂર કરો. એટલે વિચારની મદદથી જ વિચાર અટકાવશે અને મનને ઉખેડી નાખશે. કાંટો કાંટાને કાઢશે. લોઢું લોઢાને કાપશે. યોગમાં આ માટે ‘સમાધિ’ શબ્દ છે. પણ તે બે પ્રકારની કહી છે. સવિકલ્પ સમાધિ અને નિર્વિકલ્પ સમાધિ. સવિકલ્પ સમાધિ એટલે વ્યર્થમાંથી સાર્થક વિચારો કરવા… દા.ત. ભગવાનના. નિર્વિકલ્પ સમાધિ એટલે વિચારોને જ દૂર કરવા. નિર્વિચાર થવું. આ છે સાચી મુક્તિ. પણ આનો અર્થ ‘અવિચાર’ નથી કરવાનો. ‘અવિચાર’ એટલે તો વિચાર કરવાની ક્ષમતા જ ન હોવી. જડ મગજ, મંદબુદ્ધિ, મૂર્ખ, બુદ્ધુ. જ્યારે નિર્વિચાર એટલે તો વિચારની પાર જવું. વિચારમાં રહેલ બંધનનાં બીજને જ બાળી નાખવાં. આવી વ્યક્તિ મંદબુદ્ધિ નહીં, પ્રજ્ઞાવાન, બુદ્ધ કે જાગૃત બને છે.
બુદ્ધિને વિચારથી પરિશુદ્ધ કરવી તે નિર્વિચાર. પછી પણ વિચાર તો રહે જ છે પણ તે ‘આવતા’ નથી. વ્યક્તિ ‘ઈચ્છે’ ત્યારે તે ‘કરે’ છે. બંધનમાં વ્યક્તિ વિચારની ગુલામ છે. મુક્તિમાં વિચારો વ્યક્તિના ગુલામ છે. પ્રથમમાં મન વાંદરું છે. બીજામાં તે મદારી છે. ‘નાચવું’ અને ‘નચાવવું’ – આ ફરક છે. મનરૂપી બંધનને મનથી સમજી મન દ્વારા મનથી પર થઈ જવું – તે જ મોક્ષ. વ્યક્તિ હવે ‘અમન’ બને છે. જુઓ, હિન્દુ ધર્મમાં અમનનો અર્થ ‘આનંદ’, ઈસ્લામમાં અમનનો અર્થ ‘શાંતિ’. આ બંને મનથી મુક્ત થયા પછી જ મળી શકે.
જબરજસ્ત સૂક્ષ્મ છે આ સૂત્ર. જેમ ઔષધને ખરલમાં ઘૂંટવાથી તેની શક્તિ-પોટેન્સી-વધે છે, તેમ આ સૂત્રને વિચારની ખરલમાં ઘૂંટવાથી તેની પણ પોટેન્સી વધતી જાય છે, અને અંતે, વિચાર જ નહીં, ખરલ પણ અદશ્ય થઈ જાય છે. રહે છે માત્ર પોટેન્સી-મોક્ષ !

No comments:

Post a Comment